ધનંજયના પુત્રના લગ્નમાં ૧૦૦૦થી વધુ મહેમાન હતા, સરકારે ૨૦૦થી વધુ મહેમાનો પર પ્રતિબંધ લગાવ્યો છે
પુણે,તા.૨૩
મહારાષ્ટમાં પૂર્વ સાંસદ ધનંજય મહાદિકની વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે તેઓએ પુણેમાં પોતાના દીકરાના લગ્ન દરમિયાન કોરોનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. આ લગ્ન રવિવારે પુણેના હદપસર વિસ્તારમાં યોજાયા હતા. આ મામલામાં અન્ય બે લોકોની વિરુદ્ધ પણ કેસ કરવામાં આવ્યો છે. આ બંને લક્ષ્મી લોન્સના માલિક અને મેનજર છે. લગ્ન આ સ્થળે જ થયા હતા. મહાદિકે દીકરાના લગ્નમાં એક હજારથી પણ વધુ મહેમાનો પહોંચ્યા હતા. જ્યારે સરકારે પુણેમાં લગ્ન સમારોહમાં ૨૦૦થી વધુ મહેમાનોના આવવા પર પ્રતિબંધ લગાવ્યો છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા બીજેપીએ દ્ગઝ્રઁના એક નેતાના ઘરમાં યોજાયેલા લગ્નને લઈ સવાલ ઉઠાવ્યા હતા. આ લગ્ન સમારોહમાં નેતાઓનો મેળો જોવા મળ્યો હતો. એનસીપી પ્રમુખ શરદ પવાર, બીજેપી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને હરિયાણાના નાયબ મુખ્યમંત્રી દુષ્યંત ચૌટાલા પણ સામેલ થયા હતા. ફડણવીસ માસ્ક પહેર્યા વગર પહોંચ્યા હતા. આ ઉપરાંત લગ્ન સમારોહમાં સંજય રાઉત અને અરવિંદ સાવંત પણ નિયમોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતા. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી છે કે જો કોરોનાના નિયમોને નહીં માનવામાં આવે તો સમગ્ર રાજ્યમાં ફરી લૉકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે કોવિડ-૧૯ના વધતા કેસોને કારણે રાજ્યમાં સોમવારથી તમામ રાજકીય, ધાર્મિક અને સામાજિક મેળાવડા પર રોક લગાવી દેવામાં આવી છે. નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં હાલના દિવસોમાં કોરોનાની નવી લહેર જોવા મળી રહી છે. અહીં સોમવારે કોરોના વાયરસ સંક્રમણના ૫૨૧૦ નવા કેસ સામે આવ્યા. આ પહેલા સતત ત્રણ દિવસ સુધી પ્રતિ દિવસ સંક્રમણના ૬ હજારથી વધુ કેસ સામે આવી ચૂક્યા હતા. રાજ્યમાં કુલ મામલા વધીને ૨૧,૦૬,૦૯૪ થઈ ગયા છે. રાજ્ય સરકાર અનુસાર સોમવારે કોવિડ-૧૯થી વધુ ૧૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો છે. હવે રાજ્યમાં મૃત્યુઆંક ૫૧,૮૦૬ પર પહોંચી ગયો છે.