રાજકોટ,તા.૩૦
સમગ્ર દેશમાં પ્રદુષણનું વધતું પ્રમાણ એક વૈશ્વિક સમસ્યા બની ચૂકી છે. જે સમસ્યા નિવારવા મુંબઈ આઈટીના યુવા પ્રાધ્યાપક ડો.ચેતન સોલંકી અને તેમના મિત્ર સંતોષભાઈ દ્વારા દેશમાં સોલાર ઉર્જાનો ઉપયોગ દરેક કરે તે માટે સંદેશો અને તાલીમ આપવા માટે એનર્જી સ્વરાજ યાત્રા(વર્ષ ૨૦૨૦થી ૨૦૩૦)નું આયોજન કરવામાં આવ્યું હતું. એનર્જી સ્વરાજ યાત્રા ભોપાલથી શરુ થઈ હતી. જે આજે રાજકોટ આવી પહોંચી છે. એનર્જી સ્વરાજ યાત્રાખી સૂર્ય ઉર્જાનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરી શકાય અને શું ફાયદો થાય તે જાણકારી લોકો સુધી પહોંચે તે હેતુ કાઢવામાં આવી છે. રાજકોટના પ્રાદેશિક લોકવિજ્ઞાન કેન્દ્ર રેસકોર્સ ખાતે આજે સૂર્ય ઊર્જાનો મહત્તમ વપરાશ રોજિંદા જીવનમાં કઈ રીતે સફળતાપૂર્વક શક્ય છે તે સમજાવતું ‘સોલાર બસ’નું પ્રદર્શન જાહેર જનતા માટે રાખવામાં આવ્યું છે.
ચેતનસિંહ સોલંકી દ્વારા સમગ્ર દેશમાં સ્વચ્છ અને હરિયાળી એવી સૂર્ય ઊર્જાનો રોજિંદા જીવનમાં મહત્તમ વપરાશ થાય તે અંગેનું એનર્જી સ્વરાજ યાત્રાનો પ્રારંભ નવેમ્બર ૨૦૨૦માં કરવામાં આવ્યો છે અને આગામી ડિસેમ્બર-૨૦૩૦ એટલે કે ૧૧ વર્ષ નિરંતર આ અભિયાન સમગ્ર દેશમાં સોલાર બસ પ્રદર્શન સાથે ચલાવશે. જેના થકી લોકોને સોલાર ઊર્જાનો વપરાશ કરવા અંગે જરૂરી માર્ગદર્શન અને ભલામણ કરવાનો મુખ્ય હેતુ છે. સૂર્યઊર્જાનો રોજિંદા જીવનમાં વધુને વધુ ઉપયોગ કરવા અંગે જરૂરી તમામ માહિતી આ બસમાં પ્રસ્તુત કરવામાં આવી રહી છે.
આ ઉપરાંત આવતીકાલે સવારે ૯.૩૦થી ૧૨ વાગ્યા સુધી આ સોલાર બસ તરઘડી ગામે ગ્રામપંચાયત ખાતે ખેડૂતો અને તમામ ગ્રામજનો માટે પ્રદર્શનમાં રાખવામાં આવશે. મધ્યપ્રદેશના ભોપાલ જિલ્લાના નેમીત ગામે સામાન્ય પરિવારમાં રહેતા ડો.ચેતન સોલંકી ગામની સ્કૂલનો ઓરડો એક અને શિક્ષક પણ એક તેવા ગામમાં ભણીને તેજસ્વીતા અને મહેનતના જોરે આગળ વધ્યાં છે. ડો. સોલંકીએ ૩ વાર ગિનિસ વર્લ્ડબુકમાં નામ નોંધાવ્યું છે. જેમાં ઉર્જાનો ઓછોમાં ઓછો વપરાશ થાય તેવા એલ ઈ ડી લાઈટ, સોલાર પાવર લેમ્પ માટે,વર્ષ ૨૦૧૭માં વડાપ્રધાનના હસ્તે સોલાર ઉર્જા લેમ્પ માટે રાજસ્થાન ખાતે એક પ્રોજેક્ટમાં સન્માનિત થયા હતા.