સુરેન્દ્રનગર, તા.૧૩
સમગ્ર રાજ્યના અમુક જીલ્લાઓમાં હાલ બર્ડ ફલુએ પગપેસારો કર્યો છે ત્યારે બાવળા વિસ્તારમાંથી એક સાથે ૩ પક્ષીઓ મૃત હાલતમાં મળી આવતા લોકોમાં અનેક ચર્ચાઓ વહેતી થવા લાગી હતી અને આ અંગે બાવળા પશુપાલન તેમજ વન વિભાગની ટીમને જાણ કરી હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ બાવળા ખાતે આવેલ ખાનગી હોસ્પીટલ સામે હાઈવે પર પાણી ભરેલ એક ખાડામાંથી પીળી ચાંચવાળા પેન્ટાટોક નામના પક્ષીઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા જે અંગે આસપાસથી પસાર થતા લોકોને જાણ થતા ઘટના સ્થળે ઉમટી પડયા હતા અને એક તરફ બર્ડફલુની દહેશત હોય ફફડાટ વચ્ચે પશુપાલન તેમજ વન વિભાગની ટીમને જાણ કરી હતી.
આથી બાવળા પશુપાલન તેમજ વન વિભાગની ટીમ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને મૃત પક્ષીઓનો કબ્જો લઈ પીએમ અર્થે મોકલવાની તજવીજ હાથ ધરી હતી ત્યારે પ્રાથમીક તપાસમાં પક્ષીઓના મોત શોર્ટ સર્કિટથી થયા હોવાનુ બહાર આવ્યું હતુ. જો કે આ બનાવથી પક્ષીપ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો.