સુરત,તા.૨૧
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે દરેક રાજકિય પક્ષ સક્રિય થઈ ગયા છે.આમ આદમી પાર્ટી દ્વારા પણ છેલ્લા ઘણા સમયથી થતાં ભ્રષ્ટાચારના આક્ષેપમાં વધુ એક પોલ ખોલ અભિયાન અંતર્ગત પાલિકાના શાસકો પર આરોપની ઝડી વરસાવવામાં આવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સુરત મહાનગર પાલિકા દ્વારા કોન્ટ્રાક્ટ હેઠળ રાખવામાં આવેલા વાહનોના ચૂકવાયેલા ભાડાની વિગતો જાહેર કરવામાં આવી છે. જેમાં સુરત પાલિકા દ્વારા પાંચ વર્ષમાં ૬૦.૮૫ કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવ્યાની વિગતો જાહેર કરવામાં આવી છે.
આપના પ્રવક્તાએ કહ્યું કે, નવા વાહનની કિંમત કરતાં પાંચ ગણી વધારે કિંમતનું ભાડું ચૂકવવામાં આવ્યું છે. જેમાં ભાજપી શાસકોની મીલિભગત સ્પષ્ટ પણ હોવાના આરોપ વધુમાં મૂકવામાં આવ્યાં છે. આમ આદમી પાર્ટી દ્વારા પોલ ખોલ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં આજે આમ આદમી પાર્ટીએ એક પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં આપના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે. મનપાના ભાજપ શાસકોએ વાહનોનું ૫ ગણું વધુ ભાડું ચૂકવી જનતાના પૈસાનો ગેર ઉપયોગ કરી ભ્રષ્ટાચાર આચર્યો છે.
મનપાના ભાજપના શાસકો અને અધિકારીઓ સામે ગંભીર આક્ષેપો કરતા આમ આદમી પાર્ટીના પ્રવક્તા યોગેશ જાદવાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૫ વર્ષમાં ભાજપ શાસકો દ્વારા વાહનોનું ૬૦ કરોડ ૮૫ લાખ રૂપિયાનું ૫ ઘણું વધારે ભાડું ચૂકવવામાં આવ્યું છે. તેમજ તેઓએ આક્ષેપ કર્યો છે કે, પ્રજાની મહેનતની કમાણીનો દુરુપયોગ કરી ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. તેઓએ વધુમાં જાણાવ્યું હતું કે જે વાહન ૪.૭૩ લાખમાં જે નવું મળે છે એ વાહનોનું ૬ ગણું ભાડું ચૂકવી પોતાની પોતાના અણઘડ વહીવટ અને ભ્રષ્ટાચારનો નમુનો સુરતની જનતાને આપ્યો છે.