અજાણ્યા વાહન હડફેટે બાઇક ચડતા બન્ને યુવાનોએ પ્રાણ ગુમાવ્યા
મોરબી તા. રપ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળીયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપરથી આજે સવારના સમયે બાઈકમાં ચાર યુવાન પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઇકને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતા ઘટના સ્થળ ઉપર જ બંને યુવાનોના મોત નિપજ્યા હતા જેથી હાલમાં મૃતક યુવાનના મૃત દેહને સિવિલમાં ખસેડાયા છે અને અન્ય બે યુવાનને ઇજાઓ થયેલ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પીટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે
હાલમાં મૃતક યુવાનોના પરિવારજનો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે ઋત્વિક પરેશભાઈ બજાણીયા (૨૦), હાદિર્ક ધિરેન્દ્રભાઈ બજાણિયા, ભૌતિક નરેશભાઇ બજાણિયા (૨૦) અને રજોડિયા જીત કિરીટભાઈ (૧૩) એક જ બાઈકમાં ઘૂટું ગામ પાસે આવેલ હરિઓમ પાર્કમાંથી મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં ભૌતિકના કાકાના ઘરે આવી રહ્યા હતા ત્યારે તેના બાઇકને માળીયા ફાટક ચોકડી પાસેના ઓવરબ્રીજ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને ચારેય યુવાનોને ઇજા થઈ હતી અને આ બનાવમાં ઋત્વિક પરેશભાઈ બજાણીયા (૨૦) અને હાદિર્ક ધિરેન્દ્રભાઈ બજાણિયાનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું
મોરબી બી ડિવિજ્ન પોલીસે પાસેથી મળી રહેલી માહિતી મુજબ મૃતક બે યુવાન જામનગર જિલ્લાના હાપાનાં રહેવાસી છે અને તેના ભાઈજીના ઘરે પિતૃ કાર્ય હોવાથી તે તેઓના પરિવાર સાથે મોરબી આવ્યા હતા અને આજે સવારે અજાણ્યા વાહનચાલકે તેઓના બાઇકને અડફેટે લેતા બંને યુવાનોને ગંભીર ઈજા થઈ હતી જેથી તેના મોત થયા છે હાલમાં યુવાનના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને ઘટના સ્થળે અકસ્માત સજીર્ને નાસી છૂટેલા વાહનચાલકને શોધવા માટે કવાયત શરૂ કરી છે વધુમાં જાણવા મળતી વિગત પ્રમાણે ઋત્વિક પરેશભાઈ અને હાદિર્ક ધીરેન્દ્રભાઈ બંને પિતરાઇ ભાઈ થાય છે અને આ જીવલેણ અકસ્માત સર્જાવાથી વાણંદ પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને આજે મોરબીના આગનેશ્વર મંદિર ખાતે જે પિતૃકાર્ય રાખવામા આવ્યું હતુ તેને પણ રદ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.