સમાધાન નહીં થાય તો ખેડૂતો ૨૬ જાન્યુઆરી દિલ્હી બોર્ડર પર જ ઉજવશે
ન્યુ દિલ્હી,તા.૨૯
કૃષિ કાયદાના વિરોધમાં ચાલી રહેલા આંદોલનમાં સરકાર અને ખેડૂતો એમ બંને પક્ષે મડાગાંઠ યથાવત છે.આવતીકાલે સરકાર સાથે ખેડૂત આગેવાનોની બેઠક યોજાવાની છે.
જોકે એ પહેલા ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યુ છે કે, જો સમાધાન થયુ તો ઠીક છે નહીંતર પછી ખેડૂતો ૨૬ જાન્યુઆરી પણ દિલ્હીની બોર્ડર પર જ મનાવશે.ખેડૂતો અહીંયાથી હટવાના નથી. વિપક્ષ મજબૂત નથી. દેશમાં વિપક્ષ હોવો જોઈએ. જો વિપક્ષ મજબૂત હોત તો અમારે રસ્તાઓ પર ઉતરવાની જરૂર ન પડત.
જણાવી દઈએ કે ખેડૂત આંદોલન આજે ૩૪મા દિવસમાં પ્રવેશ્યુ છે અને ખેડૂતો દિલ્હી બોર્ડર પર ડેરા તંબૂ તાણીને પડ્યા છે.રાકેશ ટિકૈતે કહ્યુ હતુ કે, ખેડૂતો આટલા દિવસથી શાંતિપૂર્ણ રીતે આંદોલન કરી રહ્યા છે. સરકાર સમક્ષ પણ શાંતિપૂર્ણ રીતે જ પોતાની વાત રાખશે.એજન્ડા પર પહેલા અમારી જે માંગણીઓ હતી તે આજે પણ યથાવત છે.સરકાર પહેલા ત્રણે નવા કાયદા રદ કરે, મિનિમમ સપોર્ટ પ્રાઈસ પર એક કાયદો બનાવે અને સ્વામીનાથન કમિટીની ભલામણો લાગુ કરે.
તેમણે કહ્યુ હતુ કે, સરકાર પહેલા ત્રણ કાયદા પાછા નહીં લે ત્યાં સુધી ખેડૂતો અને સરકાર વચ્ચે વાતચીતનો રસ્તો નહીં ખુલે. બેઠકમાં હું જવાનો છુ અને કોઈ સમાધાન નિકળશે તેવી આશા લઈને બેઠકમાં ભાગ લઈશું.વાતચીત ના થઈ તો પણ શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલતુ રહેશે.