ભરૂચ,તા.૧
ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં ગઇકાલે ૬ વર્ષની બાળકી ગુમ થઇ હતી. ગુમ થયેલી બાળકીનો મૃતદેહ બોરવેલમાંથી મળી આવ્યો હતો. બાળકીનો મૃતદેહ મળતા સોસાયટીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. પોલીસે મૃતદેહનો કબજો લઇ પીએમ અર્થે ખસેડ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે. બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચના ઝાડેશ્વર રોડ પર આવેલી નારાયણ વિદ્યા વિહાર સ્કૂલ નજીકની ૬ વર્ષીય બાળકી ગુમ થતાં તેની શોધખોળ આરંભી હતી.
તે દરમિયાન રંગ હાઈટ્સ સોસાયટીના બોરવેલમાંથી ૬ વર્ષીય ઓનુશ્રી અપૂર્ણ વિશ્વાસ ખુલ્લા બોરવેલમાં ખાબકી ડૂબી જવાના કારણે મોત નિપજયુ હોવાનું સામે આવ્યું હતું. જેને લઇ સોસાયટીના રહીશોએ મૃતકના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરી હતી. બોરવેલમાં ખાતે ૬ વર્ષની બાળકીનો મૃતદેહ બહાર કાઢી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરી હતી.
જેના કારણે મૃતકના પરિવારજનોએ પોલીસને જાણ કરતા પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે. જોકે રમત રમી રહેલી છ વર્ષીય બાળકીનું મોત થતા પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. જો કે જે બોરવેલ ખોદવામાં આવ્યો હતો તે ગ્રામ પંચાયતે ખોદ્યો છે કે પછી બિલ્ડરે તે પ્રશ્નને લઈને લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. હાલ તો પોલીસે મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ આરંભી છે.