ઇસ્લામાબાદ,તા.૨૯
ભારતના આંતરિક મામલાઓમાં વારંવાર ચંચૂપાત કરનારા પાકિસ્તાને હવે ખેડૂત આંદોલનમાં પણ હસ્તક્ષેપ કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મામલાની સંસદીય સમિતિએ દિલ્હીમાં ખેડૂતો દ્વારા કરવામાં આવેલા દેખાવોની પ્રશંસા કરી હતી અને શીખ ખેડૂતોને સમર્થન જાહેર કર્યુ હતુ.
સરકારને સમિતિએ કહ્યુ છે કે, ભારતમાં માનવાધિકારના ઉલ્લંઘન મુદ્દે પાકિસ્તાને અમેરિકન સરકાર તેમજ બીજા આંતરરાષ્ટ્રિય મંચ પર ભારત સામે મુદ્દો ઉઠાવવો જોઈએ.
લગભગ સાડા ત્રણ કલાક ચાલેલી બેઠકમાં પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી પણ હાજર હતા. સમિતિએ સરકારને કહ્યુ છે કે, ભારતમાં આરએસએસ અંતિમવાદી વિચારધારાનુ મૂળ છે અને તને આંતરરાષ્ટ્રિય સ્તર પર ખુલ્લુ પાડવાની જરુર છે.
મોદી સરકારના અત્યાચારો સામે વિરોધ કરી રહેલા લોકો માટે ૨૬ જાન્યુઆરી કાળો દિવસ હતો. નવી દિલ્હીમાં લાલ કિલ્લા પર શીખ ખેડૂતોએ પોતાનો પવિત્ર ધ્વજ ફરકાવીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. જે ખેડૂતોના આ આંદોલનમાં જીવ ગયા છે તેમના પ્રત્યે અમે સહાનૂભૂતિ અને સંવેદના વ્યક્ત કરીએ છે.
સમિતિએ કહ્યુ હતુ કે, ભારતમાં ૨૦૧૯ના વર્ષમાં ૧૦૦૦૦થી વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી હતી અને મુસ્લિમોને ધાર્મિક આધાર પર ટારગેટ કરવામાં આવ્યા હતા. ભાતર સરકાર દ્વારા થઈ રહેલા માનવધિકાર ભંગનો મુદ્દો પાકિસ્તાને અમેરિકા સમક્ષ અને બીજા આંતરરાષ્ટ્રિય મંચ પર ઉઠાવવો જોઈએ.