વડોદરા,તા.૨૯
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા જય અંબેનગરમાં પુત્રએ માતાની ઘાતકી હત્યા કરી લાશને સળગાવી નાખવાનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઈ છે . ગોત્રી પોલીસે આરોપી પુત્ર ની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગોત્રી વિસ્તારના અંબિકા નગરની પાછળ આવેલા જય અંબેનગરમાં માતા-પુત્ર એકલા રહેતા હતા. ૨૭ વર્ષીય પુત્ર દિવ્યેશ સરદારસિંહ બારીયા છૂટક ડ્રાઇવિંગ કરતો હતો અને ૫૦ વર્ષીય માતા ભીખીબેન બારીયા ઘરકામ કરતા હતા. સોમવારે રાત્રે માતા અને પુત્ર વચ્ચે કોઇક કારણોસર માથાકૂટ થતા ઉશ્કેરાયેલા પુત્રએ માતાના પેટમાં કાચનો ટુકડાથી હુમલો કરી દીધો હતો. જેમાં માતાનું કમકમાટીભર્યું મોત નીપજ્યુ હતું, ત્યાર બાદ ઘટના પાછળ ઢાંકપિછોડો કરવા પુત્રએ ઘરના પાછળના ભાગે માતાની લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો હતો.
મહિલાની હત્યાની જાણ થતાં સ્થાનિક લોકો એકત્ર થયા હતા અને ગોત્રી પોલીસને જાણ કરી દીધી હતી. લોકોએ માતાની હત્યા કરનાર પુત્ર સામે ફિટકાર વરસાવી હતી.
ગોત્રી પોલીસ મથકના કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોલીસે આરોપી પુત્રની અટકાયત કરીને તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. આ ગુનાની વધુ તપાસ ગોત્રી પોલીસ સ્ટેશનના પીઆઇ એચ. વી. ચૌધરીએ હાથ ધરી છે.