કરાંચી, તા. ૧૧
પાકિસ્તાનનો ભૂતપૂર્વ ક્રિકેટર શોએબ અખ્તર ભારતમાં રહેવા ઇચ્છે છે. જો કે, તેના માટે તેણે એક શરત રાખી છે. ભૂતપૂર્વ ઝડપી બોલરનું કહેવું છે કે જો તે અબજોપતિ બની જશે તો તે મુંબઈમાં રહેવા ઈચ્છશે. અખ્તરે સાથે તે પણ જણાવ્યું છે કે તે ભારતમાંથી જેટલા પણ રૂપિયા કમાય છે તેના ૩૦ ટકા તે આ જ દેશમાં દાન કરી દે છે.
અખ્તરે હેલો એપ પર એક વિડીયો સેશનમાં કહ્યું હતું કે, હું ભારતમાંથી જેટલા રૂપિયા કમાવું છું તેના ૩૦ ટકા અહીં જ ડોનેટ કરી દઉં છું. જો હું ક્યારેક અબજોપતિ બની ગયો તો હું મુંબઈમાં સેટલ થવા ઈચ્છું છું. તેણે કહ્યું છે કે કાશ્મીરમાં જ્યારે ૨૦૦૫માં ભૂકંપ આવ્યો હતો ત્યારે તેણે ઘણા ભારતીયોને મદદ કરી હતી અને તે પાકિસ્તાનમાં પણ હિંદુઓની મદદ કરતો રહે છે.
તેણે આગળ જણાવ્યું હતું કે, તે બધા જ લોકોને પ્રેમ કરે છે ભલે તે કોઈ પણ ધર્મનનો જ કેમ ન હોય. તેણે કહ્યું હતું કે, હું અંદરથી ઘણો જ નરમ છું, પરંતુ બહારથી મારી ઇમેજ એવી છે કે હું ઘણો સિરિયસ છું અને એક આક્રમક પેસર છું.
તેણે જણાવ્યું હતું કે તે બોલિવુડના કિંગ શાહરૂખ ખાન પાસેથી પ્રશંસકોને પ્રેમ કરવાનું શીખ્યો છે. અખ્તરે કહ્યું હતું, શાહરૂખ ખાન પોતાના ચાહકોને એવી રીતે મળે છે જાણે તે તેમને વર્ષોથી જાણતો હોય. તે મારા મોટા ભાઈ જેવો છે. નોંધનીય છે કે અખ્તર શાહરૂખ ખાનની માલિકીની આઈપીએલ ટીમ કોલકત્તા નાઈટરાઈડર્સ માટે રમી ચૂક્યો છે.