હોશિયારપુર,તા.૨૦
કૃષિ કાયદાની વિરુદ્ધ ચાલી રહેલ ખેડૂત આંદોલનને ૮૭ દિવસ થઈ ગયા છે. આ દરમિયાન આત્મહત્યા કરવાનો સિલસિલો પણ અટકી રહ્યો નથી. પંજાબના એક ખેડૂત પરિવારમાં પિતા-પુત્રએ શુક્રવારે આત્મહત્યા કરી હતી. શનિવારે સામે આવેલો આ મામલો હોશિયારપુર જિલ્લાના મુહદ્દીપુર ગામનો છે. જે સુસાઇડ નોટ મળી આવી છે, તેમાં મોડી સરકારની સાથે સાથે પંજાબની અમરિન્દર સરકારને પણ જવાબદાર ઠેરવવામાં આવી છે. મૃતકોની ઓળખ નંબરદાર જગતાર સિંહ અને તેમનો પુત્ર કૃપાલ સિંહ તરીકે થઈ છે.
તેમના પરિવારે જાણ કરતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સુસાઇડ નોટ કબ્જે કરી હતી. જેમાં લખ્યું હતું કે, મોદી સરકાર ખેડૂતોની સાથે દગો કરી રહી છે. કૃષિ કાયદા ખેડૂતોને બરબાદ કરી નાંખ્યા છે. મોડી સરકાર ખેડૂતોની એક પણ વાત સાંભળી રહી નથી. કેપ્ટન સરકારે પણ અમારું દેવું માફ કર્યું નથી. અમે કંટાળી ગયા છીએ, હવે જીવવા માંગતા નથી. એટલા માટે આત્મહત્યા કરી રહ્યા છીએ.
ખેડૂતો ૨૬ નવેમ્બરથી દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહ્યા છે. આ સાથે જ અલગ-અલગ રાજ્યોમાં પણ પ્રદર્શન ચાલી રહ્યું છે. ખેડૂત આંદોલનમાં સામેલ થયેલા ૨૦૦થી વધુ લોકોના અત્યાર સુધીમાં જુદા-જુદા કારણોસર મૃત્યુ થઈ ચૂક્યા છે. તેમાંથી કેટલાકે આત્મહત્યા કરી લીધી છે તો કેટલાક ખેડૂતોના મૃત્યુ હાર્ટએટેક, ઠંડી લાગી જવાથી અને દુર્ઘટનાના કારણે થયા છે.