દિલ્હીમાં ઇઝરાયેલી દુતાવાસ પાસે બ્લાસ્ટ થયા બાદ સમગ્ર મામલે ઉંડી તપાસ ચાલી રહી છે. ઇઝરાયેલે ત્રાસવાદી હુમલો હોવાની વાત કર્યા બાદ તપાસ તીવ્ર કરવામાં આવી છે. તપાસ વચ્ચે તાજેતરમાં જ જારી કરવામાં આવેલા નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં ફરી ત્રાસવાદી કેમ્પો સક્રિય થઇ ગયા છે. પુલવામા ખાતે સીઆરપીએફના કાફલા પર ત્રાસવાદી હુમલા બાદ ભારત દ્વારા પાકિસ્તાનમાં ઘુસીને બાલાકોટમાં ત્રાસવાદી કેમ્પો અને તેમના લોંચ પેડ પર હવાઇ હુમલા કરવામાં આવ્યાના મહિનાઓ બાદ હવે ત્રાસવાદીઓ ફરી અંકુશ રેખા નજીક સક્રિય થઇ ગયા છે. પોલીસ અને સેના કબુલ કરી ચુકી છે કે અંકુશ રેખા પેલે પાર મોટી સંખ્યામાં કેમ્પ અને લોચ પેડ છે. જેમાં ત્રાસવાદીઓ ટ્રેનિગં મેળવી રહ્યા છે. બાલા કોટમાં હવાઇ હુમલા પહેલા ઉરી હુમલા બાદ સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી હતી. બાલાકોટ હવાઇ હુમલા અને સર્જિકલ હુમલા વેળા જે કેમ્પ અને લોંચ પેડ નષ્ટ કરી દેવામાં આવ્યા હતા તે ફરી સક્રિય થયા છે. પાકિસ્તાનમાં નવી ઇમરાન સરકાર ફ્લોપ સાબિત થઇ રહી છે. ત્રાસવાદને લઇને પાકિસ્તાનને ધમકી આપતા આપતા અમેરિકા પોતે થાકી ગયુ છે પરંતુ પાકિસ્તાન પર તેની કોઈ પણ અસર દેખાતી નથી. અમેરિકાએ પાકિસ્તાન પર દબાણ લાવવા માટે તમામ પ્રયોગ અને પોતાની પાસેના તમામ વિકલ્પનો ઉપયોગ કરી લીધો છે પરંતુ તેના પર કોઇ અસર દેખાતી નથી. અમેરિકાએ જંગી સહાય રોકવાની પણ વાત કરી છે પરંતુ તેની અસર પણ દેખાઇ નથી. ભારતના જુદા જુદા ભાગો અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં કરવામાં આવેલા હુમલામાં કોઇને કોઇ રીતે પાકિસ્તાનના કનેક્શન ચોક્કસપણે નિકળે છે.પાકિસ્તાનમાં હાફિઝ સઇદ સહિતના ખતરનાક ત્રાસવાદીઓ જાહેરમાં ફરી રહ્યા છે પરંતુ પાકિસ્તાન કોઇ પગલા લેવાની હિમ્મત કરી શકતુ નથી. ભારતમાં પુલવામા , ઉરી ત્રાસવાદી હુમલા, અમરનાથ શ્રદ્ધાળુઓ પર હુમલા, સેનાના કેમ્પ પર વારંવાર હુમલા, પઠાણકોટ, સીઆરપીએફના કાફલામાં ભીષણ ત્રાસવાદી હુમલામાં પાકિસ્તાન સ્થિત સંગઠનની સંડોવણી ખુલ્યા બાદ અમેરિકાએ અનેક વખત પાકિસ્તાનને કઠોર કાર્યવાહી કરવા સુચના આપી છે પરંતુ તેના પર હજુ કોઇ અસર દેખાઇ રહી નથી. વિશ્વનુ દબાણ પર કામ કરી રહ્યુ નથી. નવેસરના અમેરિકી રિપોર્ટમાં આ જ બાબત સપાટી પર આવે છે જેમાં જાણી શકાય છે કે આતંકવાદની સામે પાકિસ્તાન દેખાવા પૂરતી લડાઈ લડી રહ્યુ છે. એટલે કે એવા જ આતંકવાદી સંગઠનોની સામે કાર્યવાહી કરી રહ્યુ છે જે તેના માટે ખતરા સમાન બની ગયા છે. લશ્કરે તોયબા જેવા સંગઠનોની સામે કાર્યવાહી તો દૂરની રહી પરંતુ તે તેમને મદદ પણ કરી રહ્યુ છે. રિપોર્ટમાં આ વાતની પણ કબૂલાત કરવામાં આવી છે કે ભારત લાંબા સમયથી આતંકવાદનો શિકાર રહ્યુ છે. સૌથી મોટી ચિંતા આ વાતની છે કે પાકિસ્તાન અને તેના જેવા અનેક દેશો આતંકવાદની સામે લડાઈનું નાટક કરીને સાથે સાથે મદદ પણ કરી રહ્યા છે. આતંકવાદીઓની મદદ કરવામાં પણ આ દેશો પાછળ રહ્યા નથી.