જામનગર,તા.૯
જામનગરમાં રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગે શુક્રવારે બપોરે ૧૧ વાગ્યાથી આખી રાત તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જામનગર શહેરમાં કુલ પાંચ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતાં. જામનગરમાં ચનીયારા ગ્રુપ પર રાજકોટ ઇન્કમટેક્ષ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતાં. શુક્રવારે સવારે ૧૧ વાગ્યે શરૂ થયેલી તપાસ આખી રાત ચાલુ રહી હતી. ચનીયારા ગ્રુપ કન્સ્ટ્રકશન સાઇટ અને બ્રાસપાર્ટના એકમ ધરાવે છે. આ પેઢી છેલ્લા કેટલાક સમયથી ખોટા બિલ બનાવી તે સ્ટોરી કરતી હોવાનું આવકવેરા વિભાગને ધ્યાને આવતા દરોડા પાડવામાં આવ્યા છે.
ઇન્કમટેક્સના દરોડામાં રાજકોટ ઇન્કમટેક્ષના અધિકારીઓ અને અમદાવાદ ઇન્કમટેક્ષના અધિકારીઓ તપાસ કામગીરીમાં જોડાયા છે. ચનીયા ગ્રુપના માલિક સંદીપભાઈ ચહેરા અને તેની અન્ય પેઢી પર આઈ.ટી.ના અધિકારીઓ તપાસ માટે પહોંચી ગયા હતાં. દસ્તાવેજ સાહિત્યની ચકાસણીમાં ખોટા બિલ સામે આવ્યા હતાં. આ પ્રકરણમાં કરોડો રૂપિયાની ટેક્સ ચોરી પકડાય તેવા અનુમાન છે. બિલ બનાવીને ટેક્સ ચોરી થતી હોવાની અને જીએસટી ચોરી થતી હોવાની આશંકા છે, પરંતુ સાચુ તો તપાસ પૂરી થયા બાદ જ ખબર પડશે.
જેને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે તે માલિક એસીબી વિભાગમાં ફરજ બજાવતા હતાં. દસ્તાવેજ અને સાહિત્ય કબજે કરવામાં આવ્યું છે. જે ખાસ કંટ્રોલ રૂમમાં લઈ જવાશે અને તેની તપાસ કરવામાં આવશે. સાહિત્યની ચકાસણીમાં અંદાજિત પંદર દિવસથી વધુ સમય નીકળી જાય તેવું તપાસનીશ અધિકારીઓ જણાવી રહ્યા છે. ગ્રુપના માલિકના પટેલ કોલોની વિસ્તારમાંમાં આવેલા રહેણાક મકાનમાં પણ તપાસ કરવામાં આવી હતી.