જામનગર, તા.૨૦
જામનગર કાલાવડ ધોરીમાર્ગ પર ધુતારપર ગામના પાટીયા પાસે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. પોતાના પિતાના બાઈકમાં પાછળ બેસીને જઈ રહેલી પુત્રીનો દુપટ્ટો પાછલા વ્હીલમાં વીંટળાઈ જતા ખેંચાઈને નીચે પટકાઈ પડયા પછી કરૂણ મૃત્યુ નીપજ્યું છે. કાલાવડ ગ્રામ્ય પોલીસ આ મામલે વધુ તપાસ ચલાવે છે.
ગોંડલ તાલુકાના આંબરડી ગામના વતની અશોકભાઈ મનજીભાઈ ઘલવાણી (ઉ.વ.૪૦) ગઈકાલે પોતાની પુત્રી કાજલ (ઉ.વ.૧૮)ને પોતાના મોટરસાયકલ પર પાછળ બેસાડીને રાત્રિના અરસામાં ધુતારપર ગામના પાટીયા પાસેથી પસાર થઈ રહયા હતા. જે દરમિયાન અકસ્માતે પાછળ બેઠેલી પુત્રી કાજલનો દુપટ્ટો પાછળના વ્હીલમાં વીંટળાઈ ગયો હતો. જેના કારણે તેણીને ગળેટૂંપો આવી ગયો હતો અને મોટર સાયકલમાંથી નીચે પટકાઈ પડી હતી જેમાં તેણીને ગંભીર ઈજા થઈ હોવાથી ઘટના સ્થળે જ કરૂણ મૃત્યુ નિપજ્યું હતુ. પિતાની નજર સામે જ પુત્રીના મૃત્યુના બનાવથી ભારે કરૂણાંતિકા સર્જાઈ હતી. આ બનાવમાં પોલીસને જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહનો કબ્જો સંભાળ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.