શિલોંગ,તા.૧
મેઘાલયના રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું છે કે, તેમણે કેન્દ્ર સરકારને સલાહ આપી છે કે ખેડુતોનું અપમાન ન કરી શકાય અને ન તો તેમને પીછેહઠ કરવાની ફરજ પાડી શકાય છે. અંગ્રેજી સમાચાર ધ ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટમાં તેની જાણકારી આપવામાં આવી છે. મલિકનું કહેવું છે કે, તેમને સરકારને સલાહ આપી છે કે, તેઓ વર્તમાન સંકટના સમાધાન માટે ખેડૂતો સાથે વાત કરે.
મલિકે તેમને ફોન ઉપર જણાવ્યું, “હું એક એવો વ્યક્તિ છું જે બંધારણીય પદ સંભાળી રહ્યો છું. મારે આવી રીતની કોઈ જ ટિપ્પણી કરવી જોઈએ નહીં. પરંતુ અહીં ખેડૂતોનો મુદ્દો છે અને હું ચૂપ બેસી શકું નહીં. મેં પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત દ્વારા આ મુદ્દાને તરત જ ઉકેલ લાવવાનો અનુરોધ કર્યો છે.
તે ઉપરાંત તેમને કહ્યું, “ખેડૂતોને અપમાનિત કરીને પરત મોકલી શકાય નહીં. તમે તેમને અપમાનિક કરી શકો નહીં અને ના તેમને વિરોધ પ્રદર્શનથી પરત મોકલી શકો છો. તમારે તેમને વાતચીતમાં સામેલ કરવા જોઈએ.
મલિકે કહ્યું, “ખેડૂતો વચ્ચે વડાપ્રધાન મોદીનું ઘણું બધુ સમર્થન છે. તેમના પાસે શક્તિ છે. તેમને વ્યાપકતા બતાવવી જોઈએ અને મુદ્દાઓના ઉકેલ માટે ચર્ચા કરવી જોઈએ. પશ્ચિમ યૂપીના ખેડૂત નેતાઓનું કહેવું છે કે તેઓ આ મુદ્દાનો ઉકેલ લાવવા માટે તૈયાર છે. ખેડૂત તૈયાર છે.. જો સરકારની મંશા છે, તો આને ઉકેલી શકાય છે.