ન્યુ દિલ્હી,તા.૨૬
દેશના અનેક રાજ્યોના ખેડુતો કેન્દ્ર સરકારના નવા કૃષિ કાયદાની વિરુદ્ધ આજે દિલ્હીની કૂચ કરી રહ્યા છે. ખેડુતોના ભારે વિરોધ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે કહ્યું છે કે નવા કાયદા ઘડવુ એ સમયની જરૂરિયાત છે. કેટલાક ખેડુતોને આ અંગે મૂંઝવણ છે, જેને દૂર કરવામાં આવશે. તેમણે જણાવ્યું છે કે ૩ ડિસેમ્બરના રોજ ખેડુતોની સંસ્થાઓને વાટાઘાટો માટે બોલાવાયા છે. સંવાદ દ્વારા ખેડૂતોના પ્રશ્નો સાંભળવામાં આવશે.
કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમારે ગુરુવારે કહ્યું કે, નવા કાયદા ઘડવો જરૂરી છે. પંજાબના અમારા ખેડૂત ભાઈઓને થોડી મૂંઝવણ છે, અમે મૂંઝવણ દૂર કરવા સેક્રેટરી સ્તરે વાત કરી. મેં બધા ખેડૂત સંઘને ૩ ડિસેમ્બરે ફરીથી બેઠક માટે વિનંતી કરી છે, સરકાર ચર્ચા માટે સંપૂર્ણ તૈયાર છે. આ પહેલા ૧૩ નવેમ્બરના રોજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલે ખેડૂત સંગઠનો સાથે બેઠક કરી હતી પરંતુ તે સમયે બેઠક અનિર્ણિત હતી. હવે ૩ ડિસેમ્બરે ફરીથી વાતચીત થઈ શકે છે.
નરેન્દ્ર સિંહ તોમારે કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં ભારત સરકાર દેશભરના ખેડુતોના હિતમાં કામ કરવા અને ખેડૂતોની આવક બમણી કરવા માટે પ્રતિબદ્ધ છે, આ માટે સતત પગલાં લઈ રહી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે આ મુદ્દો રાજકારણ કરવાનો નથી અને તેના પર રાજકારણ ન હોવું જોઈએ.