અમદાવાદ,તા.૨૯
અમદાવાદ પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે ઉતરાયણના તહેવારને અનુલક્ષીને જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ, મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં. તેમજ જાહેર રસ્તા પર પશુઓને ઘાસચારો નાખી શકાશે નહીં.
ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯૫૧ની કલમ ૩૭(૧) મુજબ ૨૯ ડિસેમ્બરથી ૧૬ જાન્યુઆરી સુધી જાહેરનામું બહાર પાડ્યું છે. આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કલમ ૧૮૮ તથા જી.પી એક્ટ ૧૯૫૧ની કલમ ૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર ગણાશે.
અત્રે મહત્વની વાત એ છે કે, હાઈકોર્ટે દિવાળીની જેમ ઉત્તરાયણમાં પણ કોરોના વકરે નહીં તે માટે લોકોને કડવા લાગે તેવા આકરા નિર્ણયો પણ લેવાની સરકારને તાકીદ કરી હોવા છતાં હજુ સુધી સરકારે ઉત્તરાયણ માટે કોઈ જ એસઓપી બહાર પાડી નથી. પરિણામે, અમદાવાદ પોલીસ કમિશનરે એ જુના પુરાણા દર વર્ષે હોય છે તેવા જ નિયમો સાથેનું જાહેરનામું પ્રસિદ્ધ કરી આશ્વાસન મેળવ્યું છે.
લોકોની ધાર્મિક લાગ્ણી દુભાય તેવા ઉશ્કેરણીજનક લખાણો સાથેના પતંગ ચગાવવા, વેચવા, કપાયેલા પતંગ લૂંટવા જાહેર રસ્તાઓ પર ઝંડા લઈ દોડવા, ટેલીફોન, ઈલેક્ટ્રિકના વાયર પર ધાતુ સાથેના વાંસડા નાંખવા સામે પણ પ્રતિબંધ ફરમાવ્યો છે. આ ઉપરાંત, કેન્દ્ર સરકારે પ્રસિદ્ધ કરેલી કોરોના ગાઈડલાઈન્સનું પણ કડક પાલન કરવાનું રહેશે.