ગાયત્રી મંત્રમાં કોઇપણ પ્રકારની મુસીબતમાંથી માણસને ઉગારવાની શક્તિ હોવાનો સ્વસ્થ થયેલા વડીલનો મત
અમદાવાદ,તા.૨૮
દુનિયામાં ઘણાં લોકો એવા પણ હોય છે કે જે પોતે વિષમમાં વિષમ પરિસ્થિતિમાં હોવા છતાં પણ સૌના પથદર્શક બની જાય છે, પોતાના દુઃખને દેખાડતા નથી અને સૌને અખૂટ પ્રેરણા આપે છે. આવું જિંદાદિલીનું ઉદાહરણ અમદાવાદ સિવિલમાં કોરોનાની સારવારમાંથી સાજા થયેલા ૯૧ વર્ષની જૈફ વયના મધુકરભાઈએ પૂરું પાડ્યું છે. કોરોનાનું સંક્રમણ ખાસ કરીને વયોવૃદ્ધ અને બાળ દર્દીઓ માટે ગંભીર સાબિત થાય છે કેમકે તેમની રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે. વયોવૃદ્ધ દર્દીઓના કિસ્સામાં મોટી વય, અશક્તિ અને એકલાપણું પણ એક સમસ્યા હોય છે. તેમ છતાં અમદાવાદ સિવિલની કોરોના ડેડિકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં ૯૧ વર્ષના મધુકરભાઈ પંડ્યાએ ૧૭ દિવસની સારવાર દરમિયાન જુવાનોને પણ શરમાવે તેવા અદમ્ય ઉત્સાહ અને જિંદાદિલી સાથે કોરોનાને હરાવ્યો છે અને સાજાનરવા થઈને ઘરે પરત ફર્યાં છે. જીવનની નવ નવ સદી જોઇ ચૂકેલા મધુકરભાઈ પંડ્યા પાંચમી ડિસેમ્બરના રોજ કોરોનાથી સંક્રમિત થઇને ૧૨૦૦ બેડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવ્યા હતા. મધુકરદાદા પોતાના યુવાકાળમાં વિવિધ રમતો સાથે સંકળાયેલા હતાં. તેથી તેઓ જીવનમાં જિંદાદિલીનું મહત્વ કદાચ વધુ સારી રીતે સમજતા હતાં. મધુકરભાઈ જે વોર્ડમાં સારવાર અર્થે દાખલ હતા તે આખા વોર્ડમાં એક ખુશહાલીનો માહોલ રહેતો હતો. મધુકરભાઈ સૌને આનંદ કરાવતા રહેતા. સામાન્ય રીતે અમદાવાદ સિવિલમાં દર્દીઓ ડર અને દહેશત સાથે દાખલ થતા હોય છે, પણ આ તો એક સમયના સ્પોર્ટસમેન મધુકરદાદા હતાં! અગાઉ દરેક રમતમાં જુસ્સા સાથે જીતના મુકામ સુધી પહોંચનારા મધુકર દાદા રમતના મેદાનની જેમ અમદાવાદ સિવિલમાં પણ ફક્ત જીતવા માટે જ આવ્યા હતા. આખરે જીવનરસથી ભરપૂર ૯૧ વર્ષીય મધુકરદાદાએ માત્ર ૧૭ જ દિવસ કોરોના સામેની લડતમાં વિજયી બનીને ઊભર્યાં હતાં. રમતના મેદાનની જેમ કોરોનાએ પણ તેમની સાથે કપરી હરીફાઇ કરી પરંતુ આખરે વિજય મધુકરદાદાનો જ થયો. ૧૭ દિવસની સારવારમાં કોરોનાએ મધુકરદાદાને સામાન્ય લક્ષણોથી શરૂઆત કરીને તેમને મોડરેટ લક્ષણો સુધી ડરાવવાની કોશિશ કરી પરંતુ મધુકરદાદા કોનું નામ! એ પણ ક્યાં હાર માને તેમ હતા? તેઓ કોરોનાને જિંદાદિલી, હસીખુશી અને આધ્યાત્મના સહારે એકધારી કાંટે કી ટક્કર આપતા રહ્યાં.