અમદાવાદ,તા.૧૯
અમદાવાદના શારદામંદિર રોડ પર ધોળે દહાડે લૂંટની ઘટનાથી કાયદા અને વ્યવસ્થા ઉપર પ્રશ્ન ઉભા થઈ રહ્યાં છે. એક મહિલા લોકરમાંથી દાગીના કાઢી ઘરે જવા નીકળી હતી. જે મહિલાને અધરસ્તે જ લૂંટી લેવામાં આવી હતી. મળી રહેલી જાણકારી અનુસાર ૨.૨૨ લાખના દાગીનાઓ ગઠિયો લઈને ફરાર થઈ ગયો છે. ઘટનાની જાણકારી એવી છે કે, શારદામંદિર રોડ પર આવેલા કૈલાશ માનસરોવર ફ્લેટમાં રહેતા માનસીબહેન શાહ ધરણીધર ખાતે આવેલા એક ઇન્સ્ટિટ્યૂટ માં લેક્ચરર તરીકે નોકરી કરે છે. શારદા મંદિર રોડ પર આવેલી બેન્ક ઓફ ઇન્ડિયામાં તેમનું પતિ સાથે જોઈન્ટ લોકર તેઓ ધરાવે છે.
તેઓ તેમનું વાહન લઈને બેંકમાં લોકર રૂમમાં ગયા હતા. જ્યાંથી તેઓએ આશરે ૧૧ તોલાના બે સેટ, બગડીઓ અને ચેઇન લીધા હતા. અન્ય દાગીના પણ આ મહિલા પાસે હતા. જે દાગીના લોકરમાંથી કાઢ્યા હતા તે તેમને એક બેગમાં મૂકી વાહનના આગળના ભાગે મુક્યા હતા. બીજ દાગીના હેન્ડ બેગમાં મૂકી દીધા હતા. આ દાગીનાઓમાંથી તેમને એક બ્રેસલેટ હાથમાં પહેર્યું અને તેવો ઘરે જવા નિકલ્યા હતા.
ત્યારે એક સોસાયટી પાસે પહોંચ્યા ત્યારે વળવા જતા તેઓએ વાહન ધીમું પાડ્યું અને તેવામાં જ પાછળથી એક બાઇક પર આવેલા શખ્સે માનસીબહેનના હાથમાંથી બ્રેસલેટ ખેંચ્યું હતું. માનસીબહેન રોડ પર પટકાયા અને શખ્સ વાહનમાં મુકેલી બેગ લઈને ફરાર થઈ ગયો હતો. માનસીબહેને બુમાબુમ કરી પણ શખ્સ ત્યાંથી ૨.૨૨ લાખના દાગીના લૂંટી ફરાર થઈ ગયો હતો. આ મામલે તેઓએ પાલડી પોલીસને જાણ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.